રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં હારની નૈતિક જવાબદારી સ્વિકારતા રાજીનામું ધર્યું હતું, પણ રાહુલ ગાંધીના દિલની વાત શું છે?
રાહુલ ગાંધીએ લખેલા રાજીનામાના ખુલ્લા પત્રમાં તેમણે પોતાના દિલની વાત કીધી છે.

કૉંગ્રેસ પાર્ટી માટે કામ કરવું એ મારા માટે ગર્વની વાત હતી. પક્ષના અધ્યક્ષ તરીકે 2019ની ચૂંટણીમાં થયેલી હાર માટે હું જવાબદાર છું.
મેં કૉંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું કેમ કે પક્ષના ભવિષ્ય અને વિકાસ માટે જવાબદારી લેવી જરૂરી છે.
2019ના પરાજય માટે પક્ષને પુનઃસંગઠિત કરવાની જરૂર છે. પરાજય માટે સામૂહિક રીતે મુશ્કેલ નિર્ણયો લેવા પડશે. હાર માટે તમામને જવાબદાર ઠેરવવા અયોગ્ય ગણાશે.

ઘણા સાથીઓનું કહેવું હતું કે હું નવા અધ્યક્ષની પસંદગી કરું. પાર્ટીના નેતૃત્વ માટે નવો કોઈ ચહેરો આવે એ જરૂરી છે પણ હું અધ્યક્ષની પંસદગી કરું એ યોગ્ય નથી.
કૉંગ્રેસ પાર્ટી ગૌરવશાળી ઇતિહાસ અને વારસો ધરાવે છે, હું એના સંઘર્ષ અને મર્યાદાનો આદર કરું છું. આ આપણા દેશની રચના સાથે ગૂંથાયેલું છે.
રાજીનામું આપ્યા પછી હું કૉગ્રેસ વર્કિંગ કમિટીમાં મારા સહકર્મિઓને સલાહ આપું છું કે તેઓ અધ્યક્ષ પસંદ કરવાની જવાબદારી એક ગ્રૂપને આપે.
એ જ ગ્રૂપ નવા અધ્યક્ષની શોધ શરૂ કરે. એમાં હું મદદ કરીશ અવે કૉંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન ઘણું સરળતાથી થઈ જશે.
ભાજપ વિરુદ્ધ મારા મનમાં કોઈ નફરત નથી પણ ભારત અંગેના તેમના વિચારોનો મારું રૂવે રૂવાળું વિરોધ કરે છે.
આ વિરોધ એ કારણથી છે કેમ કે મારું અસ્તિત્વ એક એવા ભારતીય વિચારથી ઓતપ્રોત છે જે એમના ભારતના વિચાર સાથે સીધો ટક્કર ઝીલે છે.
આ કોઈ નવી લડાઈ નથી, આ લડાઈ આપણી ધરતી પર હજારો વર્ષોથી થઈ રહી છે.
તેમને જ્યાં ભેદભાવ દેખાય છે ત્યાં હું સામ્યતા જોઉં છું. તેઓ જ્યાં નફરત જુએ છે ત્યાં હું પ્રેમ જોઉં છું. તેઓ જે ચીજથી ડરે છે એને હું અપનાવું છું.
આ જ સહાનુભૂતિથી ભરપૂર વિચાર મારા વ્હાલા લાખો દેશવાસીઓના હૃદયમાં પણ છે.
ભારતનો આ એ વિચાર છે જેની અમે પૂરજોશથી રક્ષા કરીશું.
આપણા દેશ અને બંધારણ પર જે હુમલો થઈ રહ્યો છે, તે આપણા રાષ્ટ્રની ગૂંથણીને નષ્ટ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
આ લડાઈથી હું કોઈ પણ પ્રકારે પાછળ નથી હઠી રહ્યો. હું કૉંગ્રેસ પાર્ટીનો એક વફાદાર સૈનિક છું અને ભારતનો સમર્પિત દીકરો છું અને હું અંતિમ શ્વાસ સુધી તેની સેવા અને રક્ષા કરીશ.
આપણે તીવ્ર અને સન્માનજનક ચૂંટણી લડ્યા, આપણો ચૂંટણીપ્રચાર ભારતના તમામ લોકો, ધર્મો અને સમુદાયો માટે ભાઈચારા, સહિષ્ણુતા અને સન્માનસભર હતો.
મેં પૂરી તાકતથી વ્યક્તિગત રીતે વડા પ્રધાન, આરએસએસ અને એ સંસ્થાઓ સાથે સંઘર્ષ કર્યો કે જેની પર એમને કબ્જો જમાવી રાખ્યો છે.
હું લડ્યો કેમકે હું ભારતને પ્રેમ કરું છું. હું એ આદર્શોને બચાવવા માટે લડ્યો જેના પાયા પર આજે ભારત ઊભું છે.
એક સમયે સંપૂર્ણ રીતે એકલો પણ ઊભો રહ્યો અને મને એ બદલ ગર્વ છે. હું પાર્ટીનાં કાર્યકરો, સભ્યો, પુરુષો અને મહિલાઓનાં સાહસ અને સમર્પણમાંથી ઘણું શીખ્યો છું. તેમણે મને પ્રેમ આપ્યો અને વિનમ્રતા શીખવી છે.